અમારી પેઢીએ જે બાળપણ જોયું અને માણ્યું છે. એ સાથે આજની પેઢીને દૂર દૂર સુધી કોઈ જ લેવાદેવા નથી : દીપક અંતાણી
૨૦૦૪માં “સરદાર
પટેલ” નાટક લખીને તેમાં ગાંધીજીનો રોલ ભજવીને લોકોના દિલ પર અને પરદા પર ગાંધીજીને જીવંત બનાવનાર, ૨૦૧૫ માં રાષ્ટ્રપતિ ભવનમાં
થયેલા “વોક વિથ ગાંધી” નામના વર્ચ્યુઅલ પ્રોગ્રામને સફળ બનાવવા અમદાવાદના ધીરેનભાઈ
દેસાઈ દ્વારા કરેલા પ્રયત્નમાં આજે પણ તમને જોવા મળે કે બાપુ તરીકે દીપક અંતાણી આપની
સાથે ચાલી રહ્યા છે. એ સિવાય ઘણી જગ્યાએ બાપુનું પાત્ર ભજવતા ભજવતા આજે ગાંધીજીનો પર્યાય
બની ચુકેલા દીપક અંતાણી સાથે થયેલી વાતચીત તેમના જ શબ્દોમાં.
પ્ર - સર આપના વિશે થોડી માહિતી વાચકોને આપશો ?
ઉ - ડિપ્લોમાં એન્જીનીયરીંગ કરીને બરોડાની આઈ.પી.સી.એલ. જેવી કંપનીમાં જોબ મેળવી. પરફોર્મિંગ આર્ટસમાં ડીગ્રી
કોર્સ કર્યો. જેના આધારે દુરદર્શન જેવા મોટા મંચ પર કામ મેળવ્યું. ૧૯૮૯ થી ૨૦૦૧ સુધી
પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ ઈ ટીવી ગુજરાતીમાં પ્રોડ્યુસર પ્રોગ્રામ
હેડ તરીકે ખુબ મોટી જવાબદારી નિભાવી. બે વરસ સુધી કામ કરીને ત્યારબાદ સ્વતંત્ર કામ શરુ કર્યું. ઘણી બધી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, એડ ફિલ્મ, નાટકો કરીને ફિલ્મો તરફ પ્રયાણ કર્યું. ચાર ફિલ્મો બનાવી જેને ગુજરાત સરકાર
તરફથી ઘણા એવોર્ડ પણ એનાયત થયા. હવે આ પાંચમી ફિલ્મ બનાવી રહ્યો છું. જેનું નામ
છે "ગોતી લો".
પ્ર - ગાંધીજીના પાત્રમાં કેદ થઇ જવાનો આપને ડર ના
લાગ્યો ?
ઉ - "યુગ પુરુષ" નાટકના લગભગ સાત અલગ અલગ ભાષાની ટીમે ૧૦૦૦ શો આખી દુનિયામાં કર્યા અને અમારી ટીમે લગભગ ૨૭૦ જેટલા શો કર્યા. છેલ્લે રાજકુમાર સંતોષીની
ફિલ્મ "ગાંધી ગોડસે યુદ્ધ" માં પણ લીડમાં ગાંધીજીનું પાત્ર ભજવ્યું. અત્યારે
ઘણી જગ્યાએ લોકો ગાંધીજીના નામથી જ ઓળખે છે અને લિમ્કા બૂક અને ઇન્ડિયાના રેકોર્ડમાં
ગાંધીજીના સૌથી વધુ પરફોર્મન્સ માટેનો રેકોર્ડ મારા નામે છે. તો આ એક અચીવમેંટ છે.
ક્યારેક ડર રહ્યો પણ એ સિવાયના ઘણા પાત્રોએ પણ લોકોના મનમાં અલગ છાપ ઉભી કરવામાં સફળતા મેળવી છે.
પ્ર - "ગોતી લો" ફિલ્મનું નામ આ જ રાખવા
પાછળ કોઈ ખાસ કારણ ?
ઉ - હા આ આપણા ગુજરાતીઓ માટે એક ખાસ શબ્દ છે. માણસ
સતત કોઈને કોઈ વસ્તુ કે વ્યક્તિની શોધમાં રહ્યો છે. ક્યારેક પોતાની સગવડતા માટે કાં તો ક્યારેક લાગણી કે સંવેદના ખાતર કોઈને કોઈ પાત્ર કે મિત્રની
શોધમાં માણસ સતત ભટકતો રહ્યો છે. અને અત્યારના આધુનિક યુગમાં માણસ યંત્રની જેમ ભાગતો
રહે છે. એ ભાગદોડમાં તેને જે શાંતિની જરૂર હોય છે. એ શાંતિ ક્યાં મળે એ શોધવાની વાત
આ ફિલ્મમાં કરવામાં આવી છે. તો આ એક નામ માત્ર નહીં પણ એક ખાસ શબ્દ છે.
પ્ર - “ગોતી લો” ફિલ્મની કોઈ ખાસ વાત જણાવશો ?
ઉ - આ ફિલ્મમાં કોઈ પણ જાતની પ્રેમ કહાની નથી. કોઈ
વિલન નથી કોઈ લડાઈ ઝઘડો નથી. કોઈ પણ પ્રકારનું
પહેલાની ફિલ્મોમાં જોયેલું અવાસ્તવિક આ ફિલ્મમાં તમને નહિ જોવા મળે. જયારે અત્યારે
નાના મોટા સૌ ટેકનોલોજી અને સ્ક્રીનના ગુલામ થઇ ગયા છે. અમારી પેઢીએ જે બાળપણ જોયું
અને માણ્યું છે. એ સાથે આજની પેઢીને દુર દુર સુધી કોઈ જ લેવા દેવા નથી. એ સમય અત્યારની પેઢીના
બાળકોથી છીનવાઈ ગયો છે. એ તોફાન મસ્તી આજની પેઢીમાં નથી. એ તેમને પાછુ અપાવવા માટે
થોડો પ્રયત્ન આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો છે. મારા મિત્ર છે ગૌરાંગ ભાવસાર જે અત્યારે
અમેરિકામાં છે. તેમણે તેમના પૌત્રોનું બાળપણ જોઇને આ વાર્તા મગજમાં આવી. અને આ વાર્તા
તેમણે અશોક ઉપાધ્યાય પાસે આ ફિલ્મ લખાવી. અને મનોજ જોશી આ ફિલ્મનું મુખ્ય પાત્ર ભજવી
રહ્યા છે. માનવ રાવ ખુબ જ ટેલેન્ટેડ યુવક છે જે આ ફિલ્મમાં ખુબ સુંદર પાત્ર ભજવી રહ્યો
છે અને આ ફિલ્મમાં મારું નિર્દેશન આપ માણી શકશો.
પ્ર - હીરો હિરોઈન અને તામજામ વગરની આ ફિલ્મનું નિર્દેશન
આપને કેવું લાગ્યું ?
ઉ - આ ફિલ્મની વાર્તા ખુબ જ સીધી અને સરળ છે. જેને મેં ક્યાય અપ્રાકૃતિક લાગે એ રીતે અંકિત કરવાનો પ્રયાસ નથી કર્યો. સહેજ પણ સજાવટ વગરનું સાદું નિર્દેશન અને કેમેરા એન્ગલ આ ફિલ્મમાં રાખેલો છે. સાબરકાંઠાના સુંદર મજાના લોકેશન પર આ ફિલ્મ બની છે. જેનો પહેલીવાર જ ફિલ્મોમાં આ રીતે ઉપયોગ થયો છે. ઉમાશંકર જોશી જે ગામમાં જન્મ્યા હતા એ ગામમાં આ ફિલ્મનું શુટિંગ થયું છે. એવા ઘણા બધા આકર્ષણો આ ફિલ્મમાં આપને જોવા મળશે.
લક્ષ્મી ડાભી દ્વારા લેવાયેલ ઈન્ટરવ્યુ
0 comments:
Post a Comment